ગુજરાતમાં વર્ષો બાદ કોઈ આરોપીનું એનકાઉન્ટર કરવામાં આવ્યું છે. અંબાપુર નર્મદા કેનાલ પાસે યુવક-યુવતી પર 20 સપ્ટેમ્બરે હુમલો કરનાર આરોપી વિપુલ પરમારે જે જગ્યાએ યુવકની હત્યા કરી હતી તે જગ્યાએ આરોપીનું ઢીમ ઢાળી દેવામાં આવ્યું છે. આ દરમિયાન ત્રણ પોલીસકર્મીને પણ ઈજા થઈ છે. આરોપીએ પોલીસ પાસેથી રિવોલ્વર ઝુંટરી ફાયરિંગ કર્યું હતું. જ્યારે પોલીસની જવાબી કાર્યવાહીમાં આરોપીનું મોત થયું છે.
પરિવારથી અલગ રહેતો હતો આરોપી
અત્યાર સુધી સામે આવેલી વિગતો પ્રમાણે આરોપી વિપુલ પરમાર સાથે તેના પરિવારજનોએ આઠ વર્ષથી કોઈ સંબંધ રાખ્યો હતો. પરિવારે આ માટે છાપામાં જાહેરાત પણ આપી હતી. પરિવારજનોએ કહ્યું કે ખરાબ વર્તન હોવાને કારણે વિપુલ સાથે અમે સંબંધ કાપી નાખ્યો હતો. મીડિયા સાથે વાત કરતા વિપુલના માતા કમળાબેને કહ્યું કે વિપુલની સાથે જે કરવું હોય તે કરો.
સતત આવી પ્રવૃતિ કરે છે- વિપુલના માતા
ગુજરાત પોલીસના એનકાઉન્ટરમાં ઠાર થયેલા વિપુલ પરમારના માતાએ કહ્યુ કે વિપુલને એવી સજા આપો કે ક્યારેય જેલમાંથી બહાર ન આવી શકે. પરિવારજનોને પણ વિપુલ ધમકી આપતો હતો. વિપુલના માતા કમળાબહેને કહ્યુ કે તે ઘરમાં હથિયાર લાવતો હતો. તેમણે વધુમાં કહ્યું કે જ્યારે કેનાલ પર હત્યા થઈ તો પોલીસ કડાદરા અમારા ઘરે આવી હતી, ત્યાં તાળું તોડ્યું અને સામાન પણ શોધ્યો હતો.

પોલીસ એનકાઉન્ટરમાં મોતને ભેટેલા વિપુલનો પરિવાર અમદાવાદના નરોડા રોડ પર અશોક મિલ પાસે રહેતો હતો. વિપુલના પિતા સીઆરપીએફમાં નોકરી કરતા હતા અને ત્યાંથી નિવૃત્ત થયો હતો. એક વર્ષ પહેલા વિપુલના પિતાનું નિધન થયું હતું.